ઘણા સમય થી જેસોર, પાણીયારી, બાલારામ અને હાથીદરા ફરવાનું મન હતું. ચોમાસા માં આ જગ્યા ઓ સૌથી વધુ રમણીય હોઈ છે. આમ તો અમે આ બધી જગ્યા એ અમદાવાદ થી ૧ દિવસ માં ફરી લીધી પણ એમાં સૌથી વધુ રોમાંચક પાણીયારી આશ્રમ અને ધોધ લાગ્યો
સપ્ટેમ્બર ૧૦, ૨૦૨૩ અમે 2 મિત્રો હું (ભૌમિક) અને કૌટિલ્ય સવારે ૫ વાગે અમદાવાદ થી નીકળ્યા અને ૬ વાગે પ્રતિજ થી મિત્ર વિપુલને જોડે લીધો. મિત્ર વિપુલ ના લીધે રસ્તો થોડો ઊંધો લીધો પણ અમારા જાબાંઝ કાર ડ્રાઇવિંગ ના ખાસ જાણકાર મિત્ર કૌટિલ્ય એ પ્રતિજ થી મહેસાણા – ઊંઝા થઈને જેસોર ૪ કલાક માં નાસ્તા બ્રેક સાથે માં પહોંચ્યા.
રસ્તા માં કૌટિલ્ય ના કહેવા પ્રમાણે કાકા ના ગોટા ખાવા ઊંઝા ઉભા રહ્યા. ત્યાં ગરમ ગરમ ગોટા ખાધા અને ચા પીધી. નાસ્તો કરીને જેસોર માટે રવાના થયા. રસ્તા માં ઈકબાલ ગાઢ પહેલા દર્શન હોટેલ માં ચા પીધી અને ટ્રેકીંગ માટે થોડો સ્ટેમિના રહે એ માટે સામાન લીધો જેમકે લીંબુ, બિસ્કિટ અને પાણી. આગળ બીજું બધું મળવું મુશ્કેલ હતું
કેદારનાથ મંદિર જેસોર
અમે ૧૦ વાગે જેસોર પહોંચ્યા અને કેદારનાથ ટ્રેકિંગ ચાલુ કર્યું. લગભગ ૭૦૦ પગથિયાં ચઢીને કેદારનાથ મંદિર ના દર્શન કર્યા. શ્રાવણ મહિનો અને રવિવાર હોવાને લીધે ઘણા બધા ભક્ત આવેલા હતા. બધા જોડે હર હર મહાદેવ બોલતા સાથે ઉપર લગભગ ૧૧ વાગે પહોંચ્યા. રસ્તા માં ઝરણાં, વાંદરા, કુદરતી વાતાવરણ અને મોટા મોટા પથ્થર નો આનંદ માણ્યો. મંદિર માં કુંડ અને શિવજી ના દર્શન કર્યા અને થોડો આરામ કર્યો.
૧૧:૩૦ વાગ્યા અને વાદળો ખસી ગયા હતા અને ગરમી વધી રહી હતી. ત્યાંથી આગળ મુનિજી ની ગુફા નો ટ્રેક હતો પણ અમે ઘણા થાકી ગયા હતા અને આગળ ના સ્થળો ની મુલાકાત માં વાર લાગે એમ હતું. એટલે એમ વિચાર્યું કે જયારે સરસ વરસાદ પડે ત્યારે સવાર થી સાંજ સુધી રહીને બધા ટ્રેક પુરા કરીશું. અમારી પગથિયાં પરથી જવામાં પણ મજા આવી. અમે સાંભળ્યું હતું કે જંગલ માંથી જવાનો રસ્તો પણ છે. એ રસ્તા માં લોકલ ની મદદ વગર પહોંચવું લગભગ અશક્ય છે. પણ જો તમારે જવાનું હોઈ તો અમને કહેજો, અમે નંબર આપીશુ. ૧ દિવસ પહેલા બુકિંગ કરાવવું પડે છે.
વિશ્વેસર મહાદેવ
ત્યાંથી આગળ વિશ્વેસર મહાદેવ ગયા. ત્યાં બહુ જ બધા લોકો નાહવા આવેલા હતા. બનાસ નદી નું પાણી છીછરું, ચોખ્ખું અને વહેતુ હતું જે નાના થી મોટા બધા માટે આરામ દાયક અને મજા કરાવે એવું હતું. લગભગ ૨,૦૦૦ લોકો નદી ના પેટ માં નાહવા માટે આવેલા હતા. અમે થોડાક ફોટોસ પડ્યા અને આગળ અરાવલી ટ્રેઇલ્સ રિસોર્ટ માં ગયા.
અરાવલી ટ્રેઇલ્સ રિસોર્ટ
અમે અગાઉ થી અરાવલી ટ્રેઇલ્સ રિસોર્ટ માં બુકિંગ કરાવેલું હતું. એમાં અમારા જમવાની તથા આરામ કરવાની સગવડ કરેલ હતી. જમવાનું બહુજ સરસ હતું અને ગરમી બહુજ હોવાને લીધે અમે ત્યાં એસી રૂમ લીધો અને ૨ કલાક આરામ કર્યો.
બુકિંગ માટે આ નંબર પર સંપર્ક કરો ૭૫૬૭૯૫૧૮૯૯
હાથીદરા
અમે લગભગ ૫ વાગે ચા પીધી અને આગળ હાથીદરા તરફ જવા નીકળ્યા. રસ્તો બહુ જ રમણીય હતો. ચારે બાજુ પર્વત અને લીલા ખેતરો વચ્ચે થઈને અમે હાથીદરા પહોંચ્યા. હાથીદરા માં ૨ સ્થળ જોવાલાયક છે. હરગંગેશ્વર મહાદેવ અને સાંકળેશ્વરી માતા મંદિર. આ બંને ઊંચા પર્વત પર છે.
હરગંગેશ્વર મહાદેવ
આ મહાદેવ ૧ લાવારસ ના બનેલા પર્વત પર બિરાજમાન છે. પર્વત માં પગથિયાં બનાવેલ છે અને એમાંથી ઉપર અમે ચઢ્યા. અહીં ઘણા લોકો ટ્રેકિંગ કરીને ઉપર ચઢે છે. ઉપર મહાદેવ ના દર્શન કરીને અમે નીચે આવ્યા. ત્યાં ૧ નાનકડો બગીચો હતો. એમાં અમે જોયું કે બહુ બધા મંદિર થી પ્રવાસ માં આવેલા લોકો ઉજાણી કરતા હતા. ત્યાંથી આગળ ૧ નાનું તળાવ હતું જે બહુજ રમણીય લાગતું હતું. ૧૦ – ૧૫ મિનિટ રોકાયા બાદ અમે આગળ સાંકળેશ્વરી માતા મંદિર તરફ ગયા
સાંકળેશ્વરી માતા મંદિર
આ મંદિર પર્વત ની ટોચ પર છે. ત્યાં પહોંચવા માટે ઉપર થોડું અંતર સાંકળ પકડીને ચઢવું પડે છે. જેથી એનું નામ સાંકળેશ્વરી માતા પડ્યું. આમ તે ચામુંડા માતા નું મંદિર છે. આજુબાજુ ના ગામ વાળા લખો લોકો અહીં આવતા હોઈ છે. જો તમારે જવું હોઈ તો ૧ કલાક નું ટ્રેકકીંગ કરીને ઉપર જય સકાય છે. અમારે સમય ના અભાવ ને લીધે આગળ અમે ઉપર ના ચઢ્યા. અને આગળ વધ્યા
પાણીયારી આશ્રમ અને ધોધ
પાણીયારી નો રસ્તો ખુબજ સરસ હતો. જો વરસાદ હોત અને વાદળ હોત તો વધુ સરસ લાગત. તેમ છતાં અમે થોડું અંતર કાપીને ૧ નાના પર્વત પાર ગાડી પહોંચી.


ત્યાં ૧ તળાવ હતું. અમે આશ્રમ અને ધોધ શોધતા હતા પણ ના મળ્યું. ત્યાં ૨-૩ વ્યક્તિ ને પૂછ્યું કે આશ્રમ ક્યાં છે? એમને જણાવ્યું કે અહીંથી ૨ કિલોમીટર દૂર છે તળાવ ની પાછળ પર્વત દેખાઈ ત્યાં. અમે પૂછ્યું કે ત્યાં ચાલતા જવાનું તો હા પાડી. અમે મૂંજાયા કે હવે ૨ કિલોમીટર ચાલવું શક્ય નથી. ત્યાં અમને ૧ ટ્રેક્ટર દેખાયું, અમે એમને પહોંચ્યું કે તમે આશ્રમ એ લઇ જાઓ છો? એમને હા પાડી. અમારા ત્રણે ના મોઢા પર ખુશી આવી. અમે પૂછ્યું કે કેટલા રૂપિયા થશે? એમને જણાવ્યું કે ૩૦ રૂપિયા. અમે તરત ટ્રેક્ટર માં બેસી ગયા. મોડી સાંજ હતી અને અમારું ટ્રેક્ટર છેલ્લું હોઈ એમ લાગતું હતું. અમારા જોડે બીજા પણ ફરવા વાળા આવ્યા.
ટ્રેક્ટર ભરાયું અને આગળ વધ્યા. ટ્રેક્ટર ની સફર ખરેખર રોમાંચક હતી. ટ્રેક્ટર ગાઢ જંગલ અને પર્વત ઉપર ચઢીને તળાવ ની અંદર થી આગળ વધ્યું. જાણે અમે સફારી કરતા હોઈ એવું લાગ્યું. લગભગ ૨૦ મિનિટ કાપ્યા પછી અમે પાણીયારી આશ્રમ પહોંચ્યા
ટ્રેક્ટર વાળા ભાઈ બહુ જ સારા હતા. એમને અમારા પાર દયા આવી અને કીધું કે મારો નંબર રાખો. જો તમને પાછા આવવા માટે ટ્રેક્ટર ના મળે તો મને ફોન કરજો હું તમને લેવા આવીશ. અમે નંબર સેવ કરી લીધો અને આશ્રમ માં અંદર ગયા. એ ભાઈ એ બીજું પણ કીધું કે ટ્રેક્ટર ખાલી રવિવારે અને રાજા ના દિવસે જ ચાલુ હોઈ છે. બાકીના દિવસો માં એ બંધ હોઈ છે. એટલે જો તમે મુલાકાત લેવાના હોઈ તો રવિવારે જવું હિતાવહ છે.






પાણીયારી આશ્રમ ની પાછળ થી પાણી ના ઝરણાં નો અવાજ આવતો હતો. ત્યાં અમે જોયું તો બહુજ સરસ ધોધ પડતો હતો. ધોધ ના પાણીનો અવાજ અને ઝડપ ગણી હતી. જે નાહવા જાય એને મજા પડી જય એવો સરસ ધોધ હતો. અમે ધણી વાર સુધી એને જોતા જ રહ્યા.
અમે છેલ્લા હતા અને અમારા સિવાય બીજું કોઈ ના હતું અને અંધારું પણ થવા આવ્યું હતું. અમે ફોટો પાડ્યા. નાહવા નું ઘણું મન થયું હતું પણ અંધારું વધુ હોવાને લીધે અમારે પાછા જવું પડ્યું.




પાછા નીકળ્યા ત્યારે અંધારું થઇ ગયું હતું. અમારા મોબાઈલ ની લાઈટ સિવાય બીજી કોઈ લાઈટ ના હતી. અમે પેલા ટ્રેક્ટર વાળા ભાઈ ને ફોન કર્યો. એમને કીધું કે હું ૧૫ મિનિટ માં આવુજ છું. અમે રાહ જોતા હતા અને અંધકાર નો આનંદ માનતા હતા. અમારા સાથે પેલું ગ્રુપ પણ હતું. એકદમ શાંત વાતાવરણ અને આજુ બાજુ થી તમરા તથા અન્ય જીવજંતુ ના અવાજ આવતા હતા. ઝાડ માં કૈક અવાજ આવે તો પણ બીક લાગે એવું હતું.
લગભગ ૨ મિનિટ પછી, ટ્રેક્ટર નો દૂર થી અવાજ આવવા લાગ્યો. જોકે ટ્રેક્ટર ગણું દૂર હતું પણ અમને હાશકારો થયો કે ટ્રેક્ટર રસ્તા માં છે. ૧૫ મીન પછી ટ્રેક્ટર આવ્યું અને અમે બધા એમાં બેસી ગયા.
ટ્રેક્ટર વાળા ભાઈ ધીમે ધીમે આગળ લઇ ગયા અને આ વખતે અમારી નાઈટ સફારી પણ થઇ ગયી. અંધારા જંગલ માંથી અમારું ટ્રેક્ટર આગળ વધ્યું અને પાછળ ઘોર અંધારા ના લીધે આગિયા ઓએ આખું આકાશ અને જંગલ જગમગાવ્યું હતું. ફોટો માં કેદ ના થઇ એવું સરસ મજાનું દ્રશ્ય કાયમ માટે યાદ રહી ગયું.
૨૦ મિનિટ પછી અમે પહોંચ્યા અને ટ્રેક્ટર વાળા ભાઈ ને ખુબ જ ધન્યવાદ કીધા અને ૨૦૦ રૂપિયા ભેટ તરીકે વધારા ના આપ્યા. એ પણ અમારી જેમ ખુશ થઇ ગયા.

ત્યાંથી અમારી સવારી આગળ વધી અને મને હિંમતનગર ની દાળબાટી ખાવાની ઈચ્છા થઇ હતી જે અગાઉ અમે વિપુલ મિત્ર ના લીધે ખાધી હતી. પણ આ વખતે વિપુલ નવી જગ્યા શોધી લાવેલ હતો. એને વોલ્ગા ની ઇડર ની દાળબાટી ની વાત કરી. અમે ત્યાં જવાનું નક્કી કર્યું.
અમે પાણીયારી થી સાતલસન – ધરોઈ થઈને ઇડર પહોંચ્યા દાળબાટી ખરેખર ખુબ જ સરસ હતી. અમે ત્યાં થી આગળ વિપુલ ને ઉતારીને આગળ વધ્યા અને મોડી રાત્રે અમદાવાદ પોટ પોતાના ઘેર પહોંચ્યા. આખો પ્રવાસ ભલે ૧ દિવસ નો હતો પણ ખુબ જ મજા નો અને આનંદ દાયક હતો.
અમે એ નક્કી કર્યું કે હવે જયારે પણ જવાનું થઇ તો પાણીયારી પહેલા જઈસુ અને પછી આગળ જઈસુ જેથી બરાબર સમય આપી શકાય.
ધન્યવાદ
Last Updated on 22 September 2023
Total views of this page : 102 views

Thanks for Reading
Post Written by – Bhaumik
To get the latest update please follow our Instagram
https://www.instagram.com/myahmedabad.blog/
This is the Best Travel Blog (www.myahmedabad.blog) of Gujarat 2021. Awarded by Gujarat Tourism
Click here to know about Our Latest Post In and around Ahmedabad

This blog is part of Pikniks – One or Two Days trips from Ahmedabad- www.pikniks.in